સ્વામિનારાયણ યુવક મંડળની સ્થાપનાઃ
વિ.સં. ૨૦૪૭, મહાવદ – ૮
તા. ૦૭-૦૨-૧૯૯૧, ગુરૂવાર

સ્વામિનારાયણ યુવક મંડળના પ્રેરકઃ
પ.પૂ. ગુરૂવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિકેશવદાસજી. સ્વામિનારાયણ યુવક મંડળ, સેક્ટર-૨૩, ગાંધીનગર.

નિવેદનઃ
પૂ. શાસ્ત્રી સ્વામીશ્રી હરિકેશવદાસજીની પ્રેરણા અને આશીર્વાદથી ગાંધીનગર સેક્ટર-૨૩ના આપણા મંદિરમાં સ્વામિનારાયણ યુવક મંડળ ચાલે છે. દર ગુરૂવારે સત્સંગી યુવકોની વિશેષ સભા થાય છે જેમાં સહુ સાથે મળી ભજન-ભક્તિ, કથા વાર્તા કરે છે અને સત્સંગના સંસ્કારોને જીવનમાં દ્રઢ કરે છે.

ગાંધીનગર તથા બહારગામ રહેતા મંડળના સૌ સત્સંગી સભ્યોને સાનુકુળતા રહે તેવા હેતુથી પ્રાર્થના, નિયમો, કીર્તન, વચનામ્રુત વગેરેનો જરૂરી સંગ્રહ કર્યો છે. ગુરૂજીની આગ્ન્યા મુજબ સત્સંગી યુવકો આ પુસ્તિકા પ્રમાણે સાપ્તાહિક સભા અને ભજન કીર્તન કરશે તો અમારો શ્રમ સાર્થક ગણાશે.

સ્વામિનારાયણ યુવક મંડળ પરિચયઃ
પ.પૂ ગુરૂવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિકેશવદાસજી યુવા પેઢીના ઘડતર અને સંસ્કારો માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેઓ માને છે કે રસ્તામાં પડેલ નકામા લાગતા પથ્થરને પણ જો કંડારવામાં આવે, ઘડતર કરવામાં આવે તો એ દેવ બની શકે છે. પ્રત્યેક વાજીંત્રમાંથી સુર પ્રગટી શકે જો એને વગાડતા આવડે તો! પ્રત્યેક માણસમાં સદગુણ પ્રગટી શકે છે જો એને પ્રગટાવટા આવડે તો!

એટલે જ બાળકોના અને યુવકોના સંસ્કાર ઘડતર માટે પૂ. ગુરૂજી વિશેષ અભિરૂચિ ધરાવે છે. જેઓને સંસારના સાગરના તોફાની મોજાઓને તરીને ક્ષેમકુશળ સામે પાર પહોંચાડવાનું છે, જેઓને જીંદગીનો ખાડા-ટેકરાવાળો, કાંટા-કાંકરાવાળો, તડકી-છાંયડીવાળો લાંબો માર્ગ પસાર કરવાનો છે એવી યુવાપેઢીને વિશેષ ભલામણ ને સત્સંગની જરૂર છે. આવી શુભ ભાવનાથી, તેઓશ્રીની જ પ્રેરણાથી ગાંધીનગર, સેક્ટર-૨૩, સ્વામિનારાયણ યુવક મંડળની સ્થાપના થઇ. જેમાં દર ગુરૂવારે સાંજે યુવા સભા થાય અને એ સભામાં નિઃસ્વાર્થ ભાવે, કોઇ પણ જાતના પ્રલોભનો વિના યુવાનો ભેળા થઇને ભજન-કીર્તન કરે છે.

પૂજ્ય શાસ્ત્રી સ્વામીના માર્ગદર્શન પ્રમાણે આ યુવકમંડળ દ્વારા ખૂબ સારી પ્રવ્રૂત્તીઓ થાય છે. જીંદગીમાં મહત્વ શાનું છે? સદગુણોનું, ઘડતરનું. આજકાલના આધુનિક મોજ શોખ, વ્યસન વિલાસના ઝેરી વાયરામાં જીવનને સુરક્ષીત ટકાવી રાખવા માટે યુવા પેઢીને સત્સંગની આવશ્યક્તા ખૂબ જરૂરી છે. જે સંગઠનો સંતોની દોરવણી અને સત્સંગ, માર્ગદર્શન હેઠળ ચાલતા હોય છે, તેવા સંગઠનોમાં જે યુવકો જોડાય છે તે આ જમાનાના આધુનિક ઝેરી પવનોથી બચી શકે છે. પ્લાસ્ટીકના ફુલોમાં સુગંધ હોતી નથી એમ સત્સંગ વગરના યુવકમાં સદગુણોની સુવાસ હોતી નથી. યુવકમંડળમાં જોડાવાથી આવા સદગુણોની વ્રુધ્ધિ થાય છે.

યુવાસભામાં આવનારને નિર્વ્યસની રહેવાનું, શુરવીરતા, બુધ્ધિમત્તા અને આંતરિક શક્તિઓને ખિલવવાનું ઘડતર મળે છે. યુવકસભામાં આવનારને સત્સંગનું જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. ધર્મ-નિયમનું પાલન કરીને, સદાચારનું પાલન કરીને એક આદર્શ યુવક તરીકેનું જીવન જીવવાનું બળ મળે છે. કિર્તન, પૂજા, શાસ્ત્રવાંચન, દેવદર્શન, સેવા તથા તેના સંસ્કારો જીવનમાં દ્રઢ કરીને સાચા ભક્ત બને છે. પરસ્પર સદભાવ, સામાજીક સેવાનાં કાર્યો કરવાની પ્રેરણા મળે છે. આ યુવાસંગઠનમાં આવવાથી ભૌતિક જીવનમાં પણ ઘણા બધા પાઠ શીખવા મળે છે. માતા-પિતા, વડીલો તથા કુટુંબીજનો સાથે કેવું વર્તન રાખવું, હળીમળીને સંપથી જીવવું વગેરે સંસ્કારનું સિંચન આ યુવા સભામાંથી મળે છે અને સાચા સન્માર્ગની પ્રાપ્તિ થાય છે.

યુવકમંડળમાં જોડાવાથી થતા ફાયદાઃ

  1. સભા સંચાલકશ્રીની ખાસ દોરવણી, માર્ગદર્શન તેમજ એકબીજા યુવકમિત્રોના વિચાર, વર્તણૂંક વગેરે વ્યક્તિત્વ વિકાસમાં ઘણોજ અગત્યનો ભાગ ભજવે છે. વ્યક્તિત્વ વિકાસમાં સૌથી અગત્યની વસ્તુ છે આપણી કોમ્યુનીકેશન સ્કીલ અને તે પણ સભામાં બધાને સંબોધીને, સ્ટેજ ઉપર આવીને બોલાવવાનો સંચાલકશ્રીનો આગ્રહ દરેક યુવકમિત્રના વ્યક્તિત્વ વિકાસમાં મહત્વનો ફાળો લઈ જાય છે. આ ઉપરાંત એક સત્સંગી તરીકેનું સાચું ગૌરવ જેને કહેવાય કે દરેક યુવકમિત્રને કિર્તન, સ્લોક, વચનામ્રુત વગેરે મુખપાઠ કરાવવામાં આવે છે. તદુપરાંત રાસ, સંવાદ, રૂપક, સત્સંગ ક્વિઝ વગેરેમાં ભાગ લેવાથી સ્ટેજ ફીયર દૂર થાય છે અને વ્યક્તિત્વનો વિકાસ થાય છે. આ રીતે પર્સનાલીટી ડેવલપમેન્ટની તક દરેક યુવકમિત્રને વિના મૂલ્યે કોઈ પણ જાતના સ્વાર્થ વગર મળે છે, જે માટે કંપનીઓ પોતાના કર્મચારીઓ માટે રૂપિયા ખર્ચે છે.
  2. અલગ અલગ ફિલ્ડના યુવકમિત્રો સાથે મિત્રતા થાય છે. આજકાલ માણસો મિત્રો બનાવવા ક્લબ ને ફોરમમાં જોડાય છે કે જે આર્થિક યોગદાન માગે છે. જ્યારે આ સંગઠનમાં આવનાર યુવકને આ તક ઘરબેઠા મળે છે. કેમ કે આ સંગઠનમાં ડોક્ટરો, એન્જીનીયર, એમ.બી.એ., પોસ્ટગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ, કોમ્પ્યુટર લીટરેટ તેમજ પોતાના બીઝ્નેસ ધરાવતા યુવકો છે જેથી યુવકનું કુટુંબ ઘણું મોટું થઈ જાય છે. સૌથી અગત્યનું અને મહત્વનું જમાપાસું એ છે કે બધા યુવકોને ઘેરબેઠા સારા અને સંસ્કારી મિત્રો મળે છે.
  3. દરેક યુવકમિત્રને નોકરી, ધંધા, અભ્યાસ કે પ્રોફેશનલ ક્વોલીફીકેશન માટે જરૂરી એવી બધીજ ઇન્ફર્મેશન આ સંગઠનમાં મળી રહે છે કે જે વ્યક્તિત્વ વિકાસ માટે અત્યંત જરૂરી છે. તદુપરાંત ધર્મ સંબંધી પુસ્તકોનું વાંચન અને જીવનમાં ઉપયોગી એવું જરૂરી જ્ઞાન એ બધું જ સારી સારી વાતોથી પ્રેરણાબળ મળે એ રીતે પુરૂં પાડવામાં આવે છે. દર ગુરૂવારની એક શીખ જો આપણે ગ્રહણ કરીએ તો આખા વર્ષની ૫૦ શીખ થાય જે આપણા જીવનને સુંદર, સુગંધિત અને સુખમય બનાવે છે.
  4. આ સંગઠનમાં જોડાનારને લીડરશીપ ક્વોલીટી અને મેનેજમેન્ટના ગુણો કેળવાય છે, એમાં વધારો થાય છે. મંડળમાંથી પૂ. ગૂરૂજીના આશીર્વાદ અને પ્રેરણાબળ મેળવીને ડોક્ટર, એન્જીનીયર, એમ.બી.એ., કોમ્પ્યુટર લીટરેટ, બી.ફાર્મ., પોસ્ટગ્રેજ્યુએટ વગેરે કારકીર્દી મેળવીને ઘણા યુવકમિત્રોએ સફળતાનાં શિખરો સર કર્યા છે.
  5. આ સંગઠનમાં તાલીમ લઈને ભારતમાં દૂરસુદૂરનાં શહેરોમાં તથા વિદેશોમાં રહીને પણ સત્સંગના સંસ્કાર અદલ જાળવી રાખે છે. એજ આ સત્સંગ અને સંગઠનનો મહિમા છે.
  6. આ સંગઠનમાં આવનાર યુવક એક સારો સત્સંગી, આદર્શ સમાજ સેવક, આદર્શ ભારતીય નાગરીક બની શકે છે.